ગુજરાતમાં લાભપાંચમ બાદ ભાજપ સંગઠન નું નવું માળખું જાહેર થવાની શક્યતા
અરૂણોદય ન્યૂઝ
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ, પ્રધાનમંડળ વિસ્તરણ બાદ ભાજપનું નવું માળખું ક્યારે જાહેર થાય તેના પર સૌની નજર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપના પ્રદેશ માળખામાં પણ ધરખમ ફેરફારો થશે. લાભપાંચમ બાદ ભાજપ પ્રદેશનું નવું માળખુ જાહેર થાય તેવી શક્યતા છે.
જગદીશ પંચાલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યા બાદ રાજ્યમાં પરિભ્રમણ કરીને લોકસંપર્ક કર્યો હતો. ઉપરાંત ઝોન વાઇઝ જાહેરસભા યોજી હતી. પ્રદેશ પ્રમુખના પરિભ્રમણનું સમાપન અમદાવાદમાં સભા સ્વરૂપે થયું હતું. રાજ્યમાં થોડા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે.
આ ચૂંટણીમાં એક તરફી જીત હાંસલ કરવા જગદીશ પંચાલ નવી ટીમને અંતિમ સ્વરૂપ આપવાની દિશામાં કવાયત હાથ ધરી હતી. જેમાં પાયાના કાર્યકરોને સંગઠનમાં સ્થાન આપવાનુ નક્કી કરાયું હતું.
જૂના જોગીઓના અનુભવની સાથે યુવાઓને જોડી પ્રદેશના માળખાને નવો ઓપ આપવા તૈયારી કરી છે, જેને હાઇકમાન્ડે લીલીઝંડી આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જગદીશ પંચાલની નવી ટીમમાં કેટલાંક નેતાઓની વાપસી થઈ શકે છે તો કેટલાંકને વિદાય લેવી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંડળના વિસ્તરણ પહેલાં હાઇકમાન્ડનું તેડું આવતાં પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ તાબડતોડ દિલ્હી દોડ્યા હતાં. જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે યોજાયેલી બેઠકમાં નવા પ્રધાનો ઉપરાંત પ્રદેશના નવા માળખાને લઇને પણ ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.







No comments:
Post a Comment