-: ગરીબ-શ્રમજીવી-બાંધકામ શ્રમિક-પરિવારોને :-
લોકડાઉનની સ્થિતીમાં આર્થિક આધાર આપતો
મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય
.....
રાજ્યમાં રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારો NFSA અંતર્ગત લાભ મેળવતા ૬૬ લાખ કાર્ડધારક પરિવારોના બેન્ક ખાતામાં તા. ર૦ એપ્રિલથી ૧૦૦૦ રૂપિયા રાજ્ય સરકાર જમા કરાવશે
......
-: રાજ્ય સરકાર રૂ. ૬૬૦ કરોડનું ભારણ ઉપાડશે :-
......
૬૦ લાખ APL-1 કાર્ડધારકો – મધ્યમવર્ગીય પરિવારોના ૪પ લાખ કુટુંબોએ અત્યાર સુધીમાં એપ્રિલ માસના વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ મેળવ્યો
......
અત્યાર સુધીમાં ૪પ હજાર મે. ટન ઘઉં-૧પ હજાર મે.ટન ચોખા-૪પ૦૦ મે.ટન ખાંડ-
૪પ૦૦ મે.ટન ચણા-દાળનું ૧૭ હજાર સસ્તા અનાજની દુકાનોએથી વિતરણ થયું
......
રાજ્યના ૬૩ માર્કેટયાર્ડમાં બે દિવસમાં ૩૮ હજાર કવીન્ટલ ખેત ઉત્પાદનો વેચાણ માટે આવ્યા
.....
-: મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી માહિતી :-
......
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના ગરીબ, શ્રમજીવી પરિવારોને આર્થિક આધાર આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ નિર્ણય અનુસાર, રાજ્યમાં ૬૬ લાખ જેટલા ગરીબ, મધ્યમવર્ગીય, શ્રમિકોના પરિવારો-કાર્ડધારકો જેઓ રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અન્વયે અનાજ મેળવવા પાત્રતા ધરાવે છે તેમના બેન્ક ખાતામાં સોમવાર તા. ર૦ એપ્રિલથી રાજ્ય સરકાર રૂ. ૧ હજારની રકમ જમા કરાવશે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંત્યોદય-ગરીબલક્ષી નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, કોરોના વાયરસની સ્થિતીને પગલે જાહેર થયેલા લોકડાઉનમાં આવા વર્ગોને રોજગારી-રોજીરોટી ન મળવાને કારણે આર્થિક મુશ્કેલી સહન ન કરવી પડે તે માટે મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીએ સંવેદના દર્શાવી આવા ૬૬ લાખ NFSA કાર્ડધારકોના બેન્ક ખાતામાં એપ્રિલ માસ પૂરતા ૧૦૦૦ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
હવે, સોમવાર તા. ર૦ એપ્રિલથી આવા ૬૬ લાખ NFSA લાભાર્થીઓના બેન્ક ખાતામાં ડી.બી.ટી.થી ૧૦૦૦ રૂપિયા જમા કરાવવામાં આવશે. આના પરિણામે રાજ્ય સરકારને રૂ. ૬૬૦ કરોડનું વધારાનું ભારણ પડશે એમ પણ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
તેમણે આ અંગે વધુ વિગતો આપતાં ઉમેર્યુ કે, આ ૧૦૦૦ રૂપિયાની સહાય માટે લાભાર્થી પરિવાર-કાર્ડધારકે કોઇ વધારાના ફોર્મ્સ ભરવા કે ફોર્માલિટીઝ કરવી પડશે નહિ. રાજ્ય સરકાર પાસે આવા ૬૬ લાખ લાભાર્થીઓનો ડેટાબેઇઝ ઉપલબ્ધ છે તેના આધારે સીધા જ તેમના બેન્ક ખાતામાં એપ્રિલ માસ પૂરતા રૂ. ૧૦૦૦ જમા કરાવવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીના આ સ્તુત્ય નિર્ણયની ગરીબ, શ્રમજીવી, બાંધકામ શ્રમિક, મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રાહત મળશે.





No comments:
Post a Comment