બનાસકાંઠામાંથી ૧૩૦૦ જેટલાં શ્રમિકોને સ્પેશ્યલ ટ્રેન મારફત ગૃહ
રાજય ઉત્તરપ્રદેશ મોકલાયાઃ કલેકટરશ્રીએ શ્રમિકોને વિદાય આપી
સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ મુજબ શ્રમિકોએ ટ્રેનમાં સવાર થઈને વતનની વાટ પકડી
(માહિતી બ્યુરો પાલનપુર)
કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં ‘શ્રમિક સ્પેશિયલ ટ્રેન’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, દાંતા, દાંતીવાડા, ધાનેરા અને સૂઇગામ તાલુકામાં રહેતા ૧૩૦૦ જેટલાં શ્રમિકોને બસ મારફત પાલનપુર લાવી પાલનપુરથી જાલૌન સ્પેશ્યલ શ્રમિક એક્સપ્રેસ ટ્રેન મારફત ઉત્તરપ્રદેશ તેમના ગૃહ રાજયમાં મોકલવામાં આવ્યા હતા. સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ મુજબ શ્રમિકોએ ટ્રેનમાં સવાર થઈને વતનની વાટ પકડી હતી.
પાલનપુર રેલ્વે સ્ટેશન પર બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેએ શ્રમિકોને પાણીની બોટલ અને ફૂડપેકટ આપી વિદાય આપી હતી. આ પ્રસંગે કલેકટરશ્રીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કામ કરતાં શ્રમિકોને પાલનપુરથી સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેન મારફત તેમના માદરે વતન મોકલવામાં આવી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર અને ભારતીય રેલ્વે દ્વારા શ્રમિકોને પોતાના વતન સુધી જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.ગિલવા, જિ.પંચાયત હિસાબી અધિકારીશ્રી ચેતન પટેલ, મામલતદારશ્રી કમલ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતાં.
લોકડાઉનના અમલ બાદ વતન જવા ઇચ્છતાં શ્રમિકો માટે પાલનપુર-જાલૌન સ્પેશ્યલ ટ્રેન મારફત પોતાના વતન ઉત્તરપ્રદેશ જવાની વ્યવસ્થા થતાં શ્રમિકો ખુશખુશાલ જોવા મળ્યાં હતા. જિલ્લા વહીવટીતંત્ર અને રેલ્વે વિભાગ દ્વારા તેમની યાત્રા સુખરૂપ પૂર્ણ થાય તે પ્રકારે સામાજિક સંસ્થાઓના સહયોગથી ભોજન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦






No comments:
Post a Comment