શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતમાં વિકાસની રાજનીતિનો પાયો નંખાયો : શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા.
અરૂણોદય ન્યૂઝ
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા
જનપ્રતિનિધિઓ વિકાસ કાર્યો માટે બ્લુપ્રિન્ટ બનાવે : કેન્દ્રીય સંચારમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ
**
શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન અને કેન્દ્રીય સંચારમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા- તાલુકા પંચાયતના જનપ્રતિનિધિઓની ચિંતન શિબિર યોજાઈ
**
ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદના બોડકદેવ ખાતેના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં અમદાવાદ જિલ્લા પંચાયત તેમજ જિલ્લા- તાલુકા પંચાયતના સદસ્યો માટે આયોજિત ચિંતન શિબિરને સંબોધતા કહ્યું કે, “ ભારતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિનો પાયો નાખ્યો છે અને તેના પરિણામે હવે દેશમાં કાર્ય આધારિત આને વિકાસ આધારિત રાજનીતિનો વિચાર ફળીભૂત થયો છે.
આ અવસરે મંત્રીશ્રીએ પ્રધાનમંત્રીશ્રી સાથેના સંસ્મરણો વાગોળતા કહ્યું કે, જ્યારે શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જે અવિરત વીજપુરવઠા ઉપ્લબ્ધ બને છે, તે જ વીજપુરવઠો દરેક ગામમાં પણ ઉપ્લબ્ધ બને તે સંકલ્પના સાથે જ્યોતિગ્રામ યોજના અમલી બનાવી હતી, જે સમગ્ર દેશમાં આજે રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી છે.
ચિંતન શિબિરમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓને પ્રેકર ઉદબોધન કરતાં શ્રી ભૂપેન્દ્રસિંહે કહ્યું કે, આપણને ઈશ્વરે પ્રજાકીય કાર્યો માટેની તક આપી છે, તે તક આપણે જતી ન કરવી જોઈએ. તેમણે ઉમેર્યું કે જે જનપ્રતિનિધિ પ્રજાકીય કામ કરે છે, તેને પ્રજા હ્રદયમાં સ્થાન અને આદર જરૂર આપે છે.
મંત્રીશ્રીએ પંચાયત સદસ્યોને ગામ,તાલુકા અને જિલ્લાના વિકાસના કામો માટે સૌને સાથે મળીને આયોજન કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે પક્ષાપક્ષીથી પર રહીને વિકાસ કાર્યો કરવા તાકીદ કરી હતી.
આ અવસરે ઉપસ્થિત કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો ને વિકાસ કાર્યો માટેની બ્લુ પ્રિન્ટ બનાવવાની ભલામણ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, જનતાએ આપણી પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે આપણું એ ઉત્તરદાયિત્વ છે કે આપણે તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરીએ.
સંચારમંત્રીશ્રીએ કહ્યું કે, ભારત એ માત્ર ભૌગોલિક નકશો નથી, પણ રાજ્યોનો સમૂહ છે. અને આ રાજ્યનો પાયો નાગરિક છે. તેથી આપણે રાષ્ટ્રને સશક્ત બનાવવા માટે નાગરિક સશક્તિકરણનું કામ કરવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે જનપ્રતિનિધિઓને મજબૂત-સશક્ત બનાવવા માટે ચિંતન શિબિર એ ઉત્તમ માધ્યમ છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી જિલ્લાના વિકાસ આયોજન અંગેની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દર્શન શાહે પણ આ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ મકવાણા,સાણંદ ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલ, કારોબારી સભ્ય શ્રી વિનોદભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામી, અગ્રણી શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી કિરિટસિંહ ડાભી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
****ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા







No comments:
Post a Comment